નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ લાગુ થયા બાદ ગુજરાતનો રાજકીય નકસો બદલી જશે

ખરડો પસાર થાય અને 2029થી અમલ થાય તો રાજકીય પક્ષોના ગણિત પણ બદલાય જાય
ગુજરાતમાં લોકસભાની હાલ 26 બેઠક છે તે વધીને 39 થઇ જશે, વિધાનસભાની સીટનો આંકડો 182થી વધીને 273 સુધી પહોંચી જશે

કેન્દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ-2023ને લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આ બંને લાગું થશે તો ગુજરાતનો રાજકીય નકશો પણ બદલી જશે. ગુજરાતમાં લોકસભાની હાલ 26 બેઠક છે, જે વધીને 39 થઈ જશે. જ્યારે વિધાનસભાની 182 બેઠકનો આંકડો વધીને 273 સુધી પહોંચી શકે છે. બંનેમાં થનારા આ ફેરફારના કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે, જ્યારે કેટલીક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. આ ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ મોટાપાયે ફેરફારો થશે. નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમની અમલવારી લોકસભાની વર્ષ 2029ની ચૂંટણી પહેલાં થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. જાણકાર સૂત્રોના મતે આ નવા સીમાંકનના કારણે ગુજરાતમાં લોકસભાની હાલની 26 બેઠકોમાં નવી 13 બેઠકનો ઉમેરો થવાની શક્યતા છે. જ્યારે વિધાનસભાની 182 બેઠકમાં નવી 90 બેઠક ઉમેરાશે. કુલ બેઠકોમાં નવા અધિનિયમ હેઠળ 1/3 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. એટલે કે ગુજરાતમાં લોકસભામાં 13 બેઠક અને વિધાનસભામાં 91 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે.
સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોમાં ફેરફાર થશે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આ નવા પરિસીમન તથા મહિલા અનામતની અસરના મોટા ફેરફારો જોવા મળશે. રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની બેઠકોની સંખ્યા અત્યારે 11 છે. તેમાં પણ વધારો થશે.
સપ્ટેમ્બર 2023માં સંસદના ખાસ સત્ર દરમિયાન આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં 454 વિરુદ્ધ 2 મતોથી તો રાજ્યસભામાં 214 વિરુદ્ધ 0 મતોથી પસાર થયું હતું. પરંતુ ત્યારે એ નક્કી થયું હતું કે નવું સીમાંકન થાય તે પછી જ લાગુ કરવામાં આવશે પણ કેન્દ્ર સરકાર હવે મહિલા અનામત બિલને તે પહેલા લાગુ કરવાની ફિરાકમાં છે જેથી રાજકીય પક્ષોના ગણિત ડામાડોળ થઈ શકે છે. આ બિલ મુજબ લોકસભા, રાજ્યની વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. નવા સીમાંકન અને મહિલા અનામત બિલના અમલીકરણને કારણે ગુજરાત વિધાનસભાની બેઠકોમાં અડધી સદી બાદ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારોને પરિણામે વર્ષોથી સ્થાપિત થયેલા રાજકીય ગણિતમાં વ્યાપક પરિવર્તન આવશે, જેના કારણે તમામ રાજકીય પક્ષોએ પોતાની જૂની રણનીતિઓ છોડીને નવેસરથી આયોજન કરવું પડશે. ખાસ કરીને જ્ઞાતિ-જાતિના સમીકરણો અને જે-તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષોએ હવે નવી રણનીતિ ઘડવી અનિવાર્ય બનશે.

રિલેટેડ ન્યૂઝ