ખેડૂતોની આવક બમણી કરવામાં ’જળ સંરક્ષણ’ અભિયાનની મહત્વપૂર્ણ ભૂમિકા : કેન્દ્રીય જળશક્તિ મંત્રી
“જળ એ પૃથ્વીનું માત્ર તત્વ નથી, પરંતુ પંચામૃત છે” રાજુલા – જાફરાબાદ પંથકમાં જળ સંરક્ષણના કાર્યને પ્રોત્સાહન હેતુસર આજરોજ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ, રાજકોટ અને રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની પ્રેરણાત્મક ઉપસ્થિતિમાં ’જળ સંમેલન’ યોજાયું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ સ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ગુજરાત સ્થિત એક અગ્રણી ગૠઘ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સૌરાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જળ સંરક્ષણના કાર્યોને વેગવંતા બનાવવાનો છે. આ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારી થકી કુલ 1,11,111 ચેકડેમ બનાવવાનો ભગીરથ સંકલ્પ કરવામાં આવ્યો છે. જળ સંકટને દૂર કરવા માટે વિવિધ સ્થળોએ જળકથા સહિતના જનજાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવે છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ જળસંચય અભિયાન અમલી છે. રાજ્યમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ચેકડેમ નિર્માણ સહિતના કાર્યો તેજ ગતિથી આગળ ધપી રહ્યા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ સંકલ્પ અને સફળ પ્રયત્નો થકી આજે દેશમાં વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન મળી રહયું છે, જળ સંરક્ષણ અભિયાન વેગવાન બન્યું છે.
ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, જળ સંચય એ સૌની સહિયારી જવાબદારી છે. તેમણે અમરેલી જિલ્લામાં જળ સંરક્ષણના વિવિધ કાર્યોની માહિતી આપતા ઉમેર્યું કે, અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારે જળ સંચય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરી છે. રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજિત ’જળ સંમેલન’ કાર્યક્રમમાં ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા ઉપરાંત સંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, પૂર્વ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ,રાજકોટના પ્રમુખ દિલીપભાઈ સખીયા અને ટ્રસ્ટીઓ, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને હોદ્દેદારો, આહીર સમાજ અગ્રણી રઘુભાઈ હુંબલ, સ્થાનિક પદાધિકારીઓ, બહોળી સંખ્યામાં આ પંથકના ખેડૂતો, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
