ઉના તાલુકાના કેસરીયા ગામે બંધ મકાનમાંથી રૂ.2.73 લાખના માલમતાની ચોરી

શિમલા-મનાલી ફરવા ગયેલા પરિવારના બંધ મકાનને ગામના જ જાણભેદુઓએ બનાવ્યું નિશાન: ઉના પોલીસે ચાર આરોપીઓને ઝડપી વાડીમાં દાટેલો 84 હજારનો મુદ્દામાલ રીકવર કર્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરીયા ગામે ગત 1લી મે 2026ના રોજ રાત્રીના અંધારામાંઆચરવા માં આવેલી લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉના પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખીને મોટી સફળતા મેળવી છે. પોલીસે આ પ્રકરણમાં ગામના જ ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડીને તેમની નિશાન દેહી પર વાડીમાં ખાડો ખોદીને દાટી રાખેલો રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.કેસરીયા-દીવ હાઈવે રોડ પર રહેતા ભાણજીભાઈ નાનુભાઈ કામલિયા પોતાના સમગ્ર પરિવાર સાથે 1લી મેના રોજ શિમલા-મનાલી ફરવા માટે ઉપડી ગયા હતા. ઘર બંધ હોવાની જાણ ગામના જ કેટલાક જાણભેદુ તસ્કરોને થઈ ગઈ હતી. આ તકનો પૂરેપૂરો લાભઉઠાવી ને રાત્રીના સમયે તસ્કરોએ ભાણજીભાઈના મકાનના તાળા તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ ઘરમાં રહેલી તિજોરી અને કબાટ ફેંદીને રોકડ રકમ, સોનાના દાગીના, ચાંદીના ઘરેણાં સહિત કુલ રૂ. 2,73,600 ની માલમત્તા પર હાથ સાફ કરી દીધો હતો. ફરવા ગયેલો પરિવાર પરત ફર્યો ત્યારે ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાત્કાલિક ઉના પોલીસ મથકે દોડી જઈને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઘરફોડ ચોરીના ગંભીર ગુનાની નોંધ લેતા ઉના પોલીસ ઈન્સ્પેક્ટરે તાત્કાલિક અલગ અલગ બે ટીમો બનાવીને આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી. પોલીસે સૌપ્રથમ ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને ફિંગરપ્રિન્ટ સહિતના વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા. ત્યાર બાદ ભાણજીભાઈના ઘરની આસપાસ રહેતા, અવર જવર કરતા અને અગાઉ ગુનાહિત ઈતિહાસ ધરાવતા શંકાસ્પદ શખ્સોની યાદી તૈયાર કરવામાં આવી હતી.આ કેસમાં પોલીસ માટે હ્યુમન સોર્સિસ એટલે કે ખાનગી બાતમીદારોનું નેટવર્ક અને ટેક્નિકલ સર્વેલન્સ સૌથી મોટું હથિયાર સાબિત થયું. પોલીસે મોબાઈલ લોકેશન, કોલ ડિટેઈલ અને ઈઈઝટ ફૂટેજની ઝીણવટ ભરી ચકાસણી કરી. સાથે જ ગામમાં વિશ્વાસુ બાતમી દારોને કામે લગાડ્યા. આ બેવડી રણનીતિના કારણે પોલીસને ગણતરીના કલાકોમાં જ મહત્વની કડીઓ મળી ગઈ અને શંકાની સોય ગામના જ ચાર શખ્સો તરફ વળી.
પાક્કી બાતમી અને નક્કર પુરાવાના આધારે ઉના પોલીસે કેસરીયા ગામના સંજય ઉર્ફે ભુરો ધીરુ વાજા, જગદીશ ઉર્ફે જયદો બચુભાઈ શિંગડ, દેવસી બીજલ ભાઈ શિંગડ અને *વિપુલગીરી શંકરગીરી મેઘનાથી નામના ચાર શખ્સોને ઉઠાવી લીધા હતા. પોલીસ મથકે લાવીને ચારેયની અલગ અલગ અને આકરી શૈલીમાં સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસના સવાલો સામે શરૂઆતમાં આનાકાની કરનારા ચારેય આરોપીઓ આખરે ભાંગી પડ્યા હતા. તેમણે એક સૂરમાં કબૂલાત કરી હતી કે, ભાણજીભાઈનો પરિવાર બહારગામ ગયો હોવાની જાણ થતાં તેઓએ ભેગા મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રીના સમયે ઘરમાં ઘૂસીને રોકડ તથા દાગીનાની ચોરી કરી હતી.
આરોપીઓએ કબૂલાતમાં જણાવ્યું કે પકડાઈ જવાના ડરથી તેમણે ચોરી કરેલા મુદ્દામાલને ગામથી થોડે દૂર આવેલી એક અવાવરુ વાડીમાં ખાડો ખોદીને દાટી દીધો હતો. આરોપીઓની કબૂલાત બાદ ઉના પોલીસની ટીમ ચારેય આરોપીઓને લઈને તે વાડીએ પહોંચી હતી.પોલીસ કાર્યવાહીની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. સૌની નજર સામે આરોપીઓએ જાતે જ જે જગ્યાએ મુદ્દામાલ દાટ્યો હતો તે જગ્યા બતાવી. પોલીસે ત્યાં ખોદકામ કરાવતા પ્લાસ્ટિકની કોથળીમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 84,769 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે પંચનામું કરીને સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરક્ષા ના ભાગરૂપે પોલીસે મીડિયાકર્મીઓને રીકવરી સ્થળથી દૂર રાખ્યા હતા.
ઉના પોલીસની આ સફળ કામગીરીથી સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનો ને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ થતા લોકોએરાહત નો શ્વાસ લીધો છે. સ્થાનિકોમાં એવી પ્રબળ ચર્ચાચાલી રહી છે કે, જો પકડાયેલા આ ચારેય આરોપીઓની વધુ ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરવામાં આવે તો મોટા ડેશર તેમજ ઉના તાલુકાના આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂતકાળમાં બનેલા ઘરફોડ ચોરી ના અનેક વણઉકેલ્યા ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે.હાલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. બાકીના મુદ્દામાલની રીકવરી માટે અને આ ટોળકી ના અન્ય કોઈ સાગરિતો છે કે કેમ તથા અન્ય ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ