કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને પાઠવાયું આવેદન પત્ર
જામનગર તાલુકાત ના ખીમરાણા ગામ ની ઘટના માં દેવરાજભાઈ ગોહીલ વિરુદ્ધ નોંધાયેલ ગુના ની નિષ્પક્ષ, પારદર્શક અને ઉચ્ચસ્તરીય તપાસ કરવા ની માંગ સાથે આજે જામનગર જીલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
જામનગર તાલુકા ના ખીમરાણા ગામ માં બનેલી ઘટના ના અનુસંધાને યુથ કોંગ્રેસના આગેવાન અને જનહિતના પ્રશ્નો માટે સતત કાર્યરત દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલ વિરુદ્ધ નોંધાયેલ ગુના ને લઈ ને જિલ્લામાં અનેક પ્રશ્નો અને શંકાઓ ઉભી થઈ છે.
કોંગ્રેસ પક્ષ કાયદા ના શાસન અને ન્યાયિક પ્રક્રિયા માં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો કાયદેસર ની કાર્યવાહી થવી જ જોઈએ, પરંતુ સાથે સાથે દરેક નાગરિકને નિષ્પક્ષ અને પારદર્શક તપાસનો અધિકાર પણ મળવો જોઈએ. ઉપલબ્ધ વીડિયો પુરાવાઓ, ડિજિટલ રેકોર્ડિંગ, પ્રત્યક્ષદર્શીઓ ના નિવેદનો તથા સમગ્ર ઘટનાક્રમ ની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી છે.
દેવરાજભાઈ ગોહીલ વર્ષો થી યુવાનો, ખેડૂતો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નો માટે કાર્યરત રહ્યા છે. તેમણે જાહેરમાં વિડિયો દ્વારા પોતાની ભૂલ સ્વીકારી ભવિષ્યમાં આવી ઘટના ન બને તેવી અપીલ પણ કરી છે, જે બાબત તપાસ દરમિયાન ધ્યાનમાં લેવી જરૂરી છે.
આથી સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય, સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરાવી તમામ પુરાવાઓની વૈજ્ઞાનિક ચકાસણી કરવામાં આવે, કોઈપણ પ્રકારના દબાણ કે પૂર્વગ્રહ વિના હકીકતોના આધારે નિર્ણય લેવામાં આવે અને જો તપાસ દરમિયાન કોઈ ગેરસમજ, અતિશયોક્તિ અથવા તથ્યોનું ખોટું અર્થઘટન સામે આવે તો તે મુજબ યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સત્ય હકીકત બહાર આવે, કોઈપણ વ્યક્તિ સાથે અન્યાય ન થાય અને જનતા નો ન્યાય પ્રત્યે નો વિશ્વાસ જળવાઈ રહે તે માટે આપ તાત્કાલિક હસ્તક્ષેપ કરી જરૂરી પગલાં ભરશો તેવી માંગણી કરવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા ની આગેવાની માં જામનગર જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવતા સમયે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ , શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટર સહારાબેન મકવાણા , પૂર્વ કોર્પોરેટર રચનાબેન નંદાણીયા , અતુલભાઇ ભંડેરી ,તેમજ રવિરાજસિંહ ગોહિલ , મહિપાલસિંહ જાડેજા સહિતના ઓ જોડાયા હતા.
