ગોંડલ: બંધ મકાનમાં યાર્ડના કમિશન એજન્ટની લાશ મળતા ચકચાર

મોતનું કારણ જાણવા મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયો: પરિવાર શોકમાં ગરકાવ

ગોંડલના ભોજરાજપરા વિસ્તારમાં આવેલા વૃંદાવન નગરમાંથી એક 47 વર્ષીય યુવાનનો કોહવાયેલો અને ફૂલી ગયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંધ મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતા આસપાસના લોકો અને પરિવારજનોએ દરવાજો તોડીને જોતા આ કરૂણ ઘટના પ્રકાશમાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, વૃંદાવન નગરમાં રહેતા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા તેજશભાઇ હસમુખલાલ ગોટેચા (ઉ.વ. 47) નાં બંધ મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતી હતી. મકાનનો મુખ્ય દરવાજો અને ઉપરના રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી સ્થાનિકો અને પરિવારજનોએ એકઠા થઈને બંને દરવાજા તોડ્યા હતા. રૂમમાં પ્રવેશતા જ બેડ પર તેજશભાઇ ગોટેચાનો ફૂલાઈ ગયેલો અને કોહવાયેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે બી’ડીવીઝન પોલીસ ને જાણ કરાતા બાવકુભાઇ ખાચર દોડી આવી મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડ્યો હતો.
જાણવા મળ્યા મુજબ તેજશભાઇ અપરિણીત હતા અને ઘરમાં એકલા જ રહેતા હતા.નવામાર્કેટ યાર્ડ માં કમિશન એજન્ટ તરીકે ઓફીસ ચલાવતા હતા. બે બહેનો વચ્ચે એક જ ભાઇ હતા.માતા પિતા ઘણા સમય થી ગુજરી ગયા છે.બન્ને બહેનો પૈકી એક બહેન ઉપલેટા તથા એક બહેન જામજોધપુર સાસરે છે.ઉપલેટા સ્થિત બહેન બે ત્રણ દિવસ થી તેજશભાઇ ને ફોન કરતા હોય ફોન ઉપડતો ના હોય પોતાનાં પુત્ર સાથે ગોંડલ દોડી આવ્યા હતા.અને આડોશ પાડોશની મદદથી તેજશભાઇ નાં બંધ મકાન નાં બારણા તોડ્યા હતા.
બનાવ નાં પગલે નગરપાલિકાનો ફાયર સ્ટાફ અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી અને મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટ માટે રાજકોટની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.ફોરેન્સિક પીએમ માં શરીર પર ઇજાનાં કોઇ નિશાન નાં હોય કુદરતી મોતનુ પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ