ખોડલધામ મંદીર કાગવડ ખાતે ઐતિહાસિક મહોત્સવ ઉજવાશે

તા.19થી ર1 જાન્યુઆરી ર0ર7 દરમિયાન આયોજન: કાર્યક્રમની રૂપરેખા ઘડાઇ

આગામી જાન્યુઆરી 2027માં વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય ’દશાબ્દી મહોત્સવ 2027’નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે તારીખ2 મે ને શનિવારના રોજ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ખોડલધામ મંદિર ખાતે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ દશાબ્દી મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી.આ ઐતિહાસિક મહોત્સવ શ્રી ખોડલધામ મંદિર પરિસર, કાગવડ ખાતે 19 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2027 સુધી ઉજવવામાં આવશે.
દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે યોજાયેલી મીટમાં ખોડલધામ ટ્ર્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દશાબ્દી મહોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય તેના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીશું. દશાબ્દી મહોત્સવમાં પણ લોકો ભાવથી જોડાશે.ચોખ્ખા મન અને આત્માથી કાર્ય કરીશું તો ધાર્યું પરિણામ આપણે મેળવી શકીશું.માતાજી આપણને આ કાર્ય કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ખોડલધામ સંગઠન અધ્યક્ષ શ્રીમતિ અનારબેન પટેલે જણાવ્યું હતું કે, દશાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઘડીનો આપણે સૌ ભાગ બનવા જઈ રહ્યા છીએ. અહીંયા સુધી પહોંચવા માટે શ્રી નરેશભાઈ પટેલની આગેવાનીમાં આપણે ખૂબ જ મહેનત કરી છે. આ દશ વર્ષની યાત્રાની ઉજવણી છે. હવે સમય સમાજને કંઈક પાછું આપવાનો છે. દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે મા ખોડલ રથમાં બિરાજીને ગામડે ગામડે આમંત્રણ આપવા જશે. દરેક પરિવારને આ દશાબ્દી મહોત્સવ સાથે જોડીએ. એક એક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે સંગઠન થકી કરીશું. રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચી તેને મદદરૂપ થવાના ભાવ અને વિચાર સાથે શ્રી ખોડલધામની સ્થાપના કરવામાં આવી હતી. આપણે આ વિચારને સાકાર કર્યો છે. હજુ પણ ઘણા કાર્યો આગામી દિવસોમાં થવાના છે. જેથી આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીશું તો આપણા તમામ સંકલ્પો સાકાર થશે. હસમુખભાઈ લુણાગરીયાએ એક અદભૂત કાર્યક્રમ દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાશે, જે ભૂતકાળના કાર્યક્રમથી પણ વિશેષ હશે. હસમુખભાઈ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, તારીખ 19 જાન્યુઆરી 2027 ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ મંદિરે દશાબ્દી મહોત્સવનો શુભારંભ થશે. જેમાં સવારે 1008 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ચારેય દિશાઓમાંથી શોભાયાત્રા શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે. જેના સામૈયા થશે અને પુષ્પવર્ષા થશે. બપોર બાદ ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે. બીજા દિવસે તારીખ 20 જાન્યુઆરી 2027 ને બુધવારના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ થશે. બપોર બાદ મહારાસ યોજાશે. જેમાં દરેક જિલ્લા, તાલુકાઓ, શહેરો અને ગામડે ગામડેથી ભાઈઓ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉપસ્થિત રહેશે અને મહારાસમાં જોડાશે. અંતિમ દિવસે તારીખ 21 જાન્યુઆરી 2027 ને ગુરુવારના રોજ 1008 કુંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ થશે અને બીડું હોમવામાં આવશે. માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે. સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણ કરાશે. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરે વિરાટ ધર્મસભા યોજાશે. જેમાં ચેરમેન નરેશભાઈ પટેલ ઉદબોધન કરી સમાજ જોગ સંદેશ આપશે અને દશાબ્દી મહોત્સવનું સમાપન થશે. ત્રણેય દિવસ દરમિયાન ખાસ શ્રી ખોડલધામની 10 વર્ષની યાત્રાનું પ્રદર્શન કરવામાં આવશે. મહોત્સવમાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે રોજ સવારે અલ્પાહાર, બપોરે ભોજન (ફરાળ સાથે) અને સાંજના ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવશે. શ્રીમતિ જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની યાદો હજુ પણ માનસપટ પર જીવંત છે. માના ધામમાં લાખો લોકો આ મહોત્સવમાં સહભાગી થયા અને આપણે વિશ્વમાં ડંકો વગાડ્યો. દરેક 21 જાન્યુઆરીના રોજ આપણે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરીએ છીએ. ત્યારે આગામી દશાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સંસ્કૃતિ, પરંપરા અને સંકલ્પોને યાદ કરીએ અને આ મહોત્સવમાં વધુ ને વધુ લોકો જોડાય તેવા સંગઠન થકી પ્રયત્ન કરીએ. તમામ સમિતિઓ સાથે મળીને કાર્ય કરશે.

રિલેટેડ ન્યૂઝ