પ્રતિ હેક્ટર 142 મણની જગ્યાએ 100 મણની મર્યાદા કરતા કૃષિમંત્રીને રજૂઆત
ગાંધીનગરમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદીના નિયમોમાં કરવામાં આવેલા અચાનક ફેરફાર સામે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકાર દ્વારા બાજરી, મકાઈ અને જુવાર જેવા મહત્વના પાકોની ખરીદીના ક્વોટામાં મોટો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવતા જ ધરતીપુત્રો આકરા પાણીએ થયા છે. આ અન્યાયી નિર્ણય સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવવા માટે ભારતીય કિસાન સંઘના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા છે. વિરોધ દર્શાવવા માટે કિસાન સંઘના આગેવાનો અનોખી રીતે સાયકલ ચલાવીને સચિવાલય પરિસરમાં આવ્યા હતા. ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર, સરકારે અગાઉ પ્રતિ હેક્ટર 142 મણ પાકની ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ, હવે અચાનક આ નિર્ણય બદલીને ખરીદીનો આંકડો ઘટાડીને પ્રતિ ખેડૂત માત્ર 100 મણ કરી દેવામાં આવ્યો છે. સરકારના આ યુ-ટર્ન અને ખરીદી મર્યાદામાં કરાયેલા તોતિંગ ઘટાડાને કારણે સામાન્ય ખેડૂતોને પોતાનો બાકીનો પાક ખુલ્લા બજારમાં સસ્તા ભાવે વેચવાની નોબત આવશે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. સરકારની આ નીતિ સામે કિસાન સંઘના પ્રતિનિધિઓ સીધા કૃષિ મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. ખેડૂતોની માંગ છે કે સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ જ પૂરેપૂરો પાક ટેકાના ભાવે ખરીદવો જોઈએ જેથી કરીને ખેડૂતોને તેમના સ્વેદબિંદુનું યોગ્ય વળતર મળી રહે. સચિવાલય ખાતે ખેડૂતોના આક્રોશને જોતાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે. કિસાન સંઘે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર આ નિર્ણય તાત્કાલિક અસરથી પરત નહીં ખેંચે, તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
