સિવિલના સુપ્રીન્ટેન્ડેન્ટના હસ્તે વોર્ડનું ઉદ્ઘાટન
જૂનાગઢ તા. 23
જૂનાગઢ જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ ખાતે પેલિએટીવ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં કેન્સર, ટીબી, એચઆઇવી, પેરાલીસીસી જેવી ગંભીર બિમારીઓની સારવાર મળશે. આ વોર્ડને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સારવાર મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં 2 વર્ષ પહેલા કેન્સરની બિમારી માટે કિમોથેરાપીની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં કેન્સરના દર્દીઓને રાજકોટ, અમદાવાદ સુધી ધક્કા ન ખાવા પડે તે માટે કિમોથેરાપેથીની સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે હવે વધુ એક સારવાર અને સુવિધામાં વધારો કરાયો છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ, સિવિલ સર્જન ડો.પાલા લાખણોત્રા, મેડિકલ કોલેજના ઇન્ચાર્જ ડીન ડો.હનુમતે આમણે, આરએમઓ ટી.જી.સોલંકી, આસી.મેડિસીન સુપ્રિન્ટેન્ડન્ટ કનવી વાણિયા, કેન્સર એન્ડ પેલિએટીવ વોર્ડના ઇન્ચાર્જ ડો.અજય પરમાર સહિતની ઉપસ્થિતિમાં પેલિએટીવ વોર્ડની શરૂઆત કરવામાં આવી છે.
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં કેન્સર, ટીબી, એચઆઇવી, પેરાલીસીસ જેવી ગંભીર બિમારીમાં દર્દીઓને સારવાર આપવામાં આવે છે અને આવા દુ:ખના દર્દીને ખૂબ જ દુ:ખાવો થવો, નિંદર ન આવવી, ભૂખ ન લાગવી, થાક લાગવી, લોહી ઉડી જવું, હાથ-પગમાં સોજો આવવા, આવા દર્દીઓને આ વોર્ડમાં રાખવામાં આવશે અને સારવાર સાથે તેમનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.