ઓસીઝ વડાપ્રધાને મોદીને BOSS કહ્યા તે સત્તાવાર ભાષણનો ભાગ નહતો:વિશ્ર્વગુરૂ તરીકે ઓળખ મળી
નવી દિલ્હી, તા. રપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોની મુલાકાત બાદ ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીએમ મોદી સાથે આ વિદેશ પ્રવાસ પર જવું તે તેમનું સૌભાગ્ય હતું. તેમણે કહ્યું કે, આજે દુનિયા ભારતને જે રીતે જોઈ રહી છે તે પીએમ મોદીના નેતૃત્વને કારણે છે. આટલું જ નહીં, જયશંકરે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીસે પીએમ મોદીને બોસ કહેવાની સ્ટોરી પણ શેર કરી.
એસ. જયશંકરે કહ્યું, હું આ પ્રવાસમાં પીએમ મોદી સાથે ગયો હતો. હું કેટલીક બાબતો કહેવા માંગુ છું કે, વિશ્વ આપણા વડાપ્રધાનને કેવી રીતે જુએ છે. સિડની પ્રવાસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયન પીએમ, પીએમ મોદીને ’ધ બોસ’ કહ્યા હતા, તે તેમના ભાષણનો ભાગ ન હતો. તે કંઈક હતું જે તેમના મનમાંથી બહાર આવ્યું હતું. એસ જયશંકરના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ પછી ઓસ્ટ્રેલિયાના પીએમએ તેમને કહ્યું હતું કે મોદીને ’ધ બોસ’ કહેવા મારા મનની વાત છે. એ કોઈ કાગળ કે ભાષણનો ભાગ નથી એ મારી આંતરિક લાગણી હતી. એસ જયશંકરે કહ્યું કે, જ્યારે પીએમ મોદી પાપુઆ ન્યૂ ગિનીમાં ઉતર્યા હતા, ત્યારે બધાએ જોયું કે જે રીતે વડાપ્રધાને તેમનું સ્વાગત કર્યું. એસ જયશંકરે કહ્યું કે પાપુઆ ન્યૂ ગિનીના પીએમએ તો ત્યાં સુધી કહ્યું કે પીએમ મોદી મારા માટે માત્ર દેશના વડાપ્રધાન નથી, તેઓ મારા માટે ગુરુ છે. વડાપ્રધાન મોદી વિશ્વગુરુ છે. તેમની પાસેથી આપણને પ્રેરણા મળે છે. આજ સુધી મેં આવું દ્રશ્ય જોયું નથી. આ સમગ્ર વિશ્વની વિચારસરણી હતી.
આજે અલગ-અલગ બેઠકોમાં જે ચર્ચા થઈ રહી છે તે ભારતના પરિવર્તનને લઈને છે. લોકો પીએમ મોદી પાસેથી જાણવા માંગતા હતા કે તમે કોરોના દરમિયાન કેવી રીતે કામ કર્યું, ડિજિટલ ઈન્ડિયા કેવી રીતે કામ કરી રહ્યું છે, રસીકરણ કેવી રીતે કરવામાં આવ્યું? મહામારી દરમિયાન 80 કરોડ લોકોને મફત રાશન કેવી રીતે આપવામાં આવ્યું?