સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલીમાં શટકર્મ અભ્યાસ અંગે વિશેષ તાલીમ સત્ર યોજાયું

યોગ પ્રાણાયામ આસન શટકર્મનો અભ્યાસ શરીરનું વજન સંતુલિત રાખવામાં અસરકારક

રાજ્ય સરકારના સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વધુ ગતિ આપવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત અમરેલી જિલ્લામાં ચાલી રહેલા નિશુલ્ક યોગ વર્ગોમાં વિશેષ શટકર્મ ક્રિયા તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં હાલમાં આશરે 50 જેટલા નિશુલ્ક યોગ વર્ગો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં નિયમિત રીતે કાર્યરત છે. આ વર્ગો દ્વારા યોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાની સાથે નાગરિકોમાં સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલી વિકસાવવાનો સકારાત્મક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પહેલના ભાગરૂપે યોગ કોચ પ્રિયંકાબેન ભદ્રાલના યોગ વર્ગમાં નવા યોગ ટ્રેનરો તથા સાધકો માટે શટકર્મ વિષયક વિશેષ માર્ગદર્શન સત્ર યોજાયું હતું. નિષ્ણાત યોગ ટ્રેનર ચંદનભાઈ ભદ્રાલ દ્વારા શટકર્મની વિવિધ શુદ્ધિ ક્રિયાઓ અંગે તાત્વિક તથા પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું.
સત્ર દરમિયાન જલનેતિ, કપાલભાતી સહિતની ક્રિયાઓનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવવામાં આવ્યું. શટકર્મ અભ્યાસ દ્વારા શરીરની આંતરિક શુદ્ધિ થાય છે, પાચનતંત્ર મજબૂત બને છે, મેટાબોલિઝમ સુધરે છે તેમજ વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત મનની એકાગ્રતા, આત્મવિશ્વાસ અને માનસિક તાજગીમાં વધારો થાય છે – તેવી વિસ્તૃત માહિતી સહભાગીઓને આપવામાં આવી.
સત્રનું મુખ્ય આકર્ષણ મેદસ્વિતા મુક્તિ વિષયક માર્ગદર્શન રહ્યું. આજના જીવનમાં વધતી જતી બેઠી જીવનશૈલી અને અસંતુલિત આહારના કારણે મેદસ્વિતાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. યોગ દ્વારા નિયમિત પ્રાણાયામ, આસન અને શટકર્મનો અભ્યાસ શરીરનું વજન સંતુલિત રાખવામાં તેમજ જીવનશૈલીજન્ય રોગોથી બચવામાં અસરકારક સાબિત થાય છે.
આયોજકો દ્વારા જણાવાયું કે સ્વસ્થ ગુજરાતના વિઝનને સાકાર કરવા આગામી સમયમાં પણ આરોગ્ય લક્ષી યોગ કાર્યક્રમો અને વિશેષ તાલીમ સત્રોનું આયોજન ચાલુ રાખવામાં આવશે, જેથી વધુમાં વધુ નાગરિકો યોગ સાથે જોડાઈ મેદસ્વિતા મુક્ત, સ્વસ્થ અને સશક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી બની શકે. નવા યોગ વર્ગ શરૂ કરવા અથવા જોડાવા માટે 90333 16841 પર સંપર્ક સાધવા માટે અમરેલી જિલ્લા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કો-ઓર્ડિનેટરે એક યાદીમાં જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ