8 મજૂરો, મહિલાઓ ઇજાગ્રસ્ત, તમામને સારવારમાં ખસેડાયા
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં તુલસીશ્યામ માર્ગ પર ખીંચા ચોકડી નજીક એક ટાટા 407 અને છકડો રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ખેતમજૂરી કરતા 8 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત તમામને સારવારમાં માટે દવાખાને ખસેડાયા છે.
ધારી તાલુકાના તુલસીશ્યામ માર્ગ પર તરશિંગડાંથી ધારી તરફ આવી રહેલા છકડો રિક્ષા અને ટાટા 407 નં. જી.જે. 7 ડ 178 વચ્ચે ખીંચા ચોકડી નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે રિક્ષામાં સવાર 8 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તોમાં આલિયાણી હસીનાબેન ઉમરભાઈ, ચાહત ઉમેરભાઈ, આશાબેન રામજીભાઈ, સોનલબેન અલારખભાઈ, મુનીબેન ઈકબાલભાઈ, દિનેશભાઈ હિંમતભાઈ, દેવકુંબેન ધખુભાઈ કામલીયા અને દૂધીબેન જોરુભાઈનો સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તો ખેતમજૂરી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકો તેમજ સેવાભાવી સંસ્થાઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ 6 ઇજાગ્રસ્તોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જ્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
