જસદણ: ગીતાનગરની દુકાનમાં મોડી રાત્રે આગ લાગતા 6 વ્યક્તિઓનો ચમત્કારિક બચાવ

જસદણમાં ગીતાનગર વિસ્તારમાં દુકાનમાં બેંક ઓફ બરોડાની જસદણ બ્રાન્ચની બાજુમાં આવેલી દુકાનમાં લાગેલી આગને કારણે દુકાનની ઉપરના માળે રહેતા 6 કર્મચારીઓ ફસાઈ ગયા હતા. જેને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની વિગતો મુજબ જસદણમાં ગીતાનગર વિસ્તારમાં દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દુકાનની ઉપરના માળે પવન ચક્કી કંપનીમાં કામ કરતા 6 કર્મચારીઓ રહેતા હતા. નીચેની દુકાનમાં આગ લાગતા તેઓ ધુમાડા અને આગના કારણે બહાર નીકળી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા જ જસદણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તમામ 6 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.આગમાં ફસાયેલા અશોકભાઈ છગનભાઈ, અનિલભાઈ મહેશભાઈ, સોમાભાઈ, લાખાભાઈ, મહિપતભાઈ અને ઓમકારભાઈનો ફાયર ટીમ દ્વારા સલામતરીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ધુમાડાના કારણે ગભરાઈ એક કર્મચારીએ કાચ તોડી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી.બચાવાયેલા તમામ લોકોને પ્રાથમિક સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસે અને ફાયર વિભાગે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ