આરોપીઓ છેલ્લા એક વર્ષથી કોઇને કોઇ કારણોસર બાટલો ચડાવવા આવી સ્ટાફને ધમકાવતા હતા
ગોંડલની સરકારી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી બાટલા ચડાવવાના બહાને આવીને ડોક્ટરો તેમજ મેડિકલ સ્ટાફ સાથે ગાળાગાળી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરજમાં રૂકાવટ કરનાર બે શખ્સો સામે ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગોંડલ સરકારી હોસ્પિટલમાં છેલ્લા અઢી વર્ષથી નોકરી કરતા અને દોઢ વર્ષથી રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. પ્રેમભાઈ મહેશભાઈ ગરાળા દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમણે ગોંડલના જ રહેવાસી અર્જુનભાઈ મહેન્દ્રભાઈ ચૌહાણ અને તેમના મિત્ર નવાજ જાનવાણી નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 221, 352, 351(3), અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ છેલ્લા એકાદ વર્ષથી વારંવાર હોસ્પિટલમાં બિનજરૂરી રીતે બાટલા ચડાવવાના બહાને આવતા હતા. આ દરમિયાન તેઓ જુનિયર મેડિકલ ઓફિસર ડો. પ્રતીક જોષી, ડો. હર્ષિતા સીરજા, ડો. રજત રાઠોડ અને અન્ય સ્ટાફ સાથે ખરાબ વર્તન કરી ગાળાગાળી કરતા હતા. આરોપીઓ દ્વારા ફરજ પરના મેડિકલ સ્ટાફના ખોટી રીતે વિડીયો ઉતારી, કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવામાં આવતી હતી. આ ઉપરાંત, મેડિકલ સ્ટાફને બદનામ કરી બંને આરોપીઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ બનાવને લઈને સરકારી હોસ્પિટલના સ્ટાફમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. ડો. પ્રેમભાઈની ફરિયાદના આધારે ગોંડલ સિટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી એએસઆઇ જીગ્નેશ કાળુભાઈ પુરોહિતે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
