ઠેર-ઠેર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન
વેરાવળ તાલુકાના ઇણાજ થી ઉંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ખાસ કરીને વરસાદી મોસમમાં માર્ગ પર પાણી ભરાઈ જતાં ખાડાઓ દેખાતા નથી, જે અકસ્માતનું જોખમ વધારે છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, દૂધ ઉત્પાદકો અને અન્ય વાહનચાલકો મોટી સંખ્યામાં આ માર્ગનો ઉપયોગ કરે છે.
લાંબા સમયથી માર્ગનું યોગ્ય સમારકામ ન થતાં રસ્તો વાહનવ્યવહાર માટે જોખમી બન્યો છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ પ્રશ્નને લઈને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઇ બામરોટીયા એ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે. તેમણે માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે, જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સુરક્ષિત અને સરળ અવરજવર મળી શકે. રજૂઆતમાં વધુ માં જણાવેલ કે જો વરસાદી સિઝનમાં બિસ્માર માર્ગના કારણે કોઈ દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગની રહેશે અને જો ટૂંક સમય માં સમારકામ શરૂ નહીં થાય, તો મામલો ઉચ્ચ કક્ષાએ લઈ જવામાં આવશે અને જરૂર પડ્યે ગ્રામજનો સાથે લોકશાહી ઢબે આંદોલન પણ કરાશે.
ગ્રામજનોની પણ માંગ છે કે માત્ર કામ ચલાઉ ખાડા પૂરવાને બદલે સમગ્ર માર્ગનું ગુણવત્તાસભર પુન:નિર્માણ અથવા મજબૂત સમારકામ કરવામાં આવે, જેથી સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. હવે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે કામગીરી શરૂ કરે છે તેના પર સ્થાનિકોની નજર છે.
